કોરોના મહામારીની બીજી લહેરને રોકવા માટે એકબાજુ ડૉકટર્સ અને વૈજ્ઞાનિક દિવસ-રાત એક કરી રહ્યા છે. તો ઘણા બધા લોકો મહામારીમાંથી છૂટકારો મેળવવા માટે દેવી-દવતાઓની પૂજા અર્ચના કરી રહ્યા છે. તામિલનાડુના કોઇમ્બતુરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. અહીં ઇરૂગુરૂમાં કમાચીપુરી અધિનામ નામનું મંદિર છે, જેના મેનેજમેન્ટે મંદિરમાં ‘કોરોના દેવી’ની સ્થાપના કરી. જેથી કરીને લોકોને કોવિડ-19 સંક્રમણમાંથી રાહત મળે. તેમનું માનવું છે કે ‘કોરોના દેવી’ લોકોને આ મહામારીમાંથી ઉગારશે.
પહેલાંથી આ પરંપરા ચાલતી આવે છે
અધિનામ મંદિરના પ્રભારી શિવલિંગેશ્વરનું કહેવું છે કે અહીં લોકોને મુશ્કેલીઓ અને અનેક બીમારીમાંથી બચવા માટે ‘દેવીઓ’ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની પ્રથા રહી છે. રાજ્યમાં પહેલાં પણ ‘પ્લેગ મરિયામ્મન’ અને બીજા કેટલાંક માતાજીની સ્થાપના કરાઈ છે, જેને લઇ માન્યતા છે કે હેજા અને પ્લેગ જેવી બીમારીઓથી લોકોની રક્ષા કરી હતી.
1.5 ફૂટ લાંબી છે આ પ્રતિમા!
મંદિર મેનેજમેન્ટના મતે કોરોના મહામારીની બીજી લહેર દરમ્યાન સંક્રમણથી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. એવામાં મંગળવારના રોજ મંદિરે બ્લેક ગ્રેનાઇટથી બનેલા 1.5 ફૂટ લાંબા ‘કોરોના દેવી’ની મૂર્તિ સ્થાપિત કરી.
48 દિવસ સુધી ચાલશે મહાયજ્ઞ
મંદિરમાં કોરોનાને લઇ ખાસ પ્રાર્થના કરાશે. 48 દિવસના મહાયજ્ઞ દરમ્યાન સામાન્ય લોકો તેમાં સામેલ થશે નહીં. મહાયજ્ઞ પૂરો થયો બાદ જ લોકો ‘કોરોના દેવી’ના દર્શન કરી શકશે. આપને જણાવી દઇએ કે કોવિડના કેસમાં દેસને થોડી રાહત ચોક્કસ મળી છે. પરંતુ હજુ પણ સંક્રમણના કેસ સંપૂર્ણપણે થોભ્યા નથી.